કેન્દ્ર સરકારે ત્રણ હજાર 626 કરોડ રૂપિયાના ખર્ચે પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટના બીજા તબક્કાના વિસ્તરણનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે લીધેલા નિર્ણયો અંગે માહિતી આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, 13 સ્ટેશનો સાથે નવી મેટ્રો લાઇન તરીકે 12.75 કિલોમીટરની વધારાની લંબાઈ ઉમેરવામાં આવશે. તેમણે કહ્યું કે પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટ આઇટી હબ, વાણિજ્યિક વિસ્તારો, શૈક્ષણિક સંસ્થાઓ અને રહેણાંક વિસ્તારોમાં સેવા આપશે, જેનાથી સમગ્ર નેટવર્કમાં જાહેર પરિવહન અને સવારીનો હિસ્સો વધશે.
શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકારે ઝારખંડમાં ઝારિયા કોલસા ક્ષેત્રના પુનર્વસન માટે સુધારેલા માસ્ટર પ્લાનને મંજૂરી આપી છે. તેમણે એ પણ માહિતી આપી હતી કે કેન્દ્ર સરકારે ઉત્તર પ્રદેશના આગ્રા ખાતે આંતરરાષ્ટ્રીય બટાટા કેન્દ્ર દક્ષિણ એશિયા પ્રાદેશિક કેન્દ્ર સ્થાપવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
તેમણે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે કટોકટીની જાહેરાત થયાના 50 વર્ષ પૂર્ણ થવા પર એક ઠરાવ પસાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, સરકાર કટોકટીનો બહાદુરીથી પ્રતિકાર કરનારા અસંખ્ય વ્યક્તિઓના બલિદાનને યાદ કરવા અને તેમનું સન્માન કરવાનો સંકલ્પ કરે છે. આ ઉપરાંત અવકાશ મિશન એક્સિઓમ-૪ મિશનના સફળ પ્રક્ષેપણ પર એક ઠરાવ પસાર કરાયો છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતીય અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન સુભાંશુ શુક્લા આંતરરાષ્ટ્રીય અવકાશ મથક પર જનારા પ્રથમ ભારતીય બનવાના માર્ગે છે.