કૃષિમંત્રી રાઘવજી પટેલ આજે અમદાવાદમાં ‘કેસર કેરી મહોત્સવ 2025’નો આરંભ કરાવશે. વસ્ત્રાપુર હાટ ખાતે યોજાનારા મહોત્સવમાં ખેડૂતો આગામી 13 જૂન સુધી કેરીનું સીધું વેચાણ કરી શકશે. સત્તાવાર યાદી મુજબ, મહોત્સવમાં ખેડૂત મંડળીઓ, પ્રાકૃતિક ખેતી તેમજ કેરીનું ઉત્પાદન કરતા વ્યક્તિગત ખેડૂતોને 85 જેટલી હાટડી વિનામૂલ્યે ફાળવવામાં આવી છે.
લોકો ખેડૂતો પાસેથી તાજી અને કાર્બાઈડમુક્ત કેરી ખરીદી શકશે. ઉપરાંત મહોત્સવમાં લોકોને તલાલા-ગીર, જુનાગઢ, અમરેલી, કચ્છ, વલસાડ અને નવસારી જેવા જિલ્લાની સુપ્રસિદ્ધ અને સ્વાદિષ્ટ કેરીઓ ખરીદી માટે ઉપલબ્ધ થશે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023ના કેસર કેરી મહોત્સવ દરમિયાન એક જ મહિનામાં વિક્રમજનક બે લાખ 70 હજાર કિલોથી વધુની કેરીનું વેચાણ થયું હતું.
Site Admin | મે 14, 2025 9:30 એ એમ (AM)
કૃષિમંત્રી રાઘવજી પટેલ આજે અમદાવાદમાં ‘કેસર કેરી મહોત્સવ 2025’નો આરંભ કરાવશે
