રાજ્યમાં અંદાજે ૧૮ થી ૨૦ લાખની વિવિધ પક્ષી વસ્તી હોવાનું વન વિભાગે જણાવ્યું છે.
વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ ‘બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ ૨૦૨૩-૨૪’ને જાહેર કરતાં કહ્યું હતું કે પક્ષી વસ્તી દર્શાવે છે કે ગુજરાત સાચા અર્થમાં ‘પક્ષી જીવન’ માટે પણ સમગ્ર દેશમાં સ્વર્ગ તરીકે ઉભરી આવ્યું છે.
આ અહેવાલ અનુસાર દેવભૂમિ દ્વારકામાં સૌથી વધુ ૪૫૬ પક્ષી પ્રજાતિઓની વિવિધતા નોંધાઈ છે, જયારે સરહદી કચ્છ જિલ્લામાં ૧૬૧ પ્રજાતિઓના ૪ લાખ ૫૬ હજાર જેટલા પક્ષીઓ જોવા મળ્યા છે.
જામનગર વિવિધ ૨૨૧ પ્રજાતિઓની સાથે ૪ લાખથી વધુ પક્ષીઓની સંખ્યા ધરાવે છે. અમદાવાદમાં પણ ૩.૬૫ લાખથી વધુ પક્ષીઓની વસ્તી સાથે ૨૫૦થી વધુ વિવિધ પ્રજાતિઓ છે. સરહદી એવા નડાબેટ જળપ્લાવિત સંકુલમાં એક લાખ કરતા વધુ પક્ષીઓ વસે છે. ‘રામસર સાઈટ’ની વાત કરીએ તો કચ્છના છારી ઢંઢની કુલ ૨૨ હજાર ૭૦૦ હેક્ટર જમીનમાં ૧૫૦થી વધુ પ્રજાતિઓના ૩૦ હજારથી વધુ પક્ષીઓ માટે સુરક્ષિત નિવાસસ્થાન સાબિત થયું છે. આ જ રીતે, પોરબંદરમાં આવેલી મોકરસાગર ‘રામસર સાઈટ’ ૧૦૦થી વધુ પ્રજાતિઓના અંદાજે ૩૦ હજાર પક્ષીઓનું નિવાસ્થાન બન્યું છે. રાજ્યમાં સ્થિત નળ સરોવર, નડાબેટ, બોરીયા બેટ, થોળ વગેરે જેવા સ્થળો અંદાજે ૫૦ હજારથી પણ વધુ સ્થાનિકો તથા યાયાવર એટલે કે વિદેશી પક્ષીઓના ‘હોટસ્પોટ’ તરીકે જાણીતા થયા છે.
Site Admin | સપ્ટેમ્બર 30, 2024 3:26 પી એમ(PM)
રાજ્યમાં અંદાજે ૧૮ થી ૨૦ લાખની વિવિધ પક્ષી વસ્તી હોવાનું વન વિભાગે જણાવ્યું