બલિદાનનો તહેવાર ઈદ-ઉલ-અઝહા આજે દેશના વિવિધ ભાગોમાં ધાર્મિક ઉત્સાહ અને ઉલ્લાસ સાથે મનાવવામાં આવી રહ્યો છે. મુસ્લિમ બિરાદરોએ આજે સવારે ઈદગાહ અને મસ્જિદોમાં ઈદની નમાજ અદા કરી હતી.
બાદમાં તેઓએ પરસ્પર ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. દેશના પાટનગર દિલ્હીમાં જામા મસ્જિદ, ફતેહપુરી મસ્જિદ અને શાહી ઈદગાહ ખાતે વિશેષ બંદગી કરવામાં આવી હતી. વિશેષ નમાજ અદા કરાવનાર ઇમામોએ લોકોને શાંતિ અને સંવાદિતા જાળવવા અને ભાઈચારાની ભાવનાથી તહેવાર ઉજવવાની અપીલ કરી હતી.
ઈદ-ઉલ-અઝહા, હઝરત ઇબ્રાહિમના એકમાત્ર પુત્રના બલિદાનની યાદમાં મનાવાય છે. દેશના અન્ય ભાગોમાંથી પણ ઈદની મનાવાઇ રહી છે. આ પ્રસંગે સલામતીની ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને લોકસભા સ્પીકર ઓમ બિરલા સહિત અનેક મહાનુભાવોએ ઈદ ઉલ અઝહાની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. રાષ્ટ્રપતિ મુર્મુએ પોતાના સંદેશમાં આ તહેવારને બલિદાન, શ્રદ્ધા અને માનવીય મૂલ્યોનું પ્રતીક ગણાવ્યો હતો. રાષ્ટ્રપતિએ કહ્યું કે આ તહેવાર સમાજમાં એકતા, પ્રેમ અને ભાઈચારોનો સંદેશ આપે છે. તેમણે બધાને એક સારા સમાજના નિર્માણ માટે સાથે મળીને કામ કરવા અનુરોધ કર્યો હતો.
લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ પણ ઈદ ઉલ અઝહાના અવસર પર લોકોને શુભેચ્છા પાઠવી છે. તેમણે કામના કરી હતી કે આ શુભ દિવસ લોકોના જીવનમાં ખુશી, સમૃદ્ધિ અને સકારાત્મક અસર લાવે.
Site Admin | જૂન 7, 2025 2:32 પી એમ(PM)
બલિદાનનો તહેવાર ઇદઉલ અઝહા દેશભરમાં ઉજવણી- રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રીએ લોકોને શુભકામના પાઠવી.
