પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું, આતંકવાદ સામે ભારતની લડાઈ અડગ છે અને તે ક્યારેય અટકશે નહીં. તેમણે કહ્યું કે અમે આતંકવાદના જોખમનો નાશ કરવા કટિબદ્ધ છીએ. શ્રી મોદીએ કહ્યું કે પાકિસ્તાન અને વિશ્વ એ ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતની દીકરીઓની સિંદૂરની શક્તિ અને સરહદ સુરક્ષા દળની અભૂતપૂર્વ હિંમત અને બહાદુરી જોઈ છે.
બિહારમાં રોહતાસ જિલ્લાના કારાકાટ ખાતેથી 48 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કર્યા બાદ જનસભાને સંબોધતા શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું. તેમણે કહ્યું, માઓવાદી હિંસા સંપૂર્ણ રીતે નેસ્તનાબૂદ થઈ જશે તે દિવસ હવે દૂર નથી.
બિહારના મખાનાને મળેલા ભૌગોલિક ઓળખ- G.I. ટેગનો ઉલ્લેખ કરતા શ્રી મોદીએ કહ્યું, આનાથી મખાના ખેડૂતોને ઘણો લાભ થયો છે.
પ્રધાનમંત્રી આજે બપોરે ઉત્તરપ્રદેશના કાનપુરમાં 47 હજાર 600 કરોડ રૂપિયાની વિવિધ વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. આ પરિયોજનાઓનો ઉદ્દેશ ક્ષેત્રના પાયાના માળખા અને સંપર્કને વધારવાનો છે. શ્રી મોદી ચંદ્રશેખર આઝાદ ખેતી અને ટૅક્નૉલજી વિશ્વ-વિદ્યાલયના મેદાનમાં એક જનસભા પણ સંબોધશે.