જમ્મુ અને કાશ્મીરમાં, દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના પહેલગામ વિસ્તારમાં આજે બપોરે આતંકવાદીઓએ પ્રવાસીઓના એક જૂથ પર હુમલો કર્યો. શ્રીનગર મુખ્યમથકથી લગભગ 85 કિલોમીટર દૂર પહેલગામના બૈસરન જંગલ વિસ્તારમાં આ હુમલો થયો. હુમલામાં કેટલાક પ્રવાસીઓ ઇજાગ્રસ્ત થયાનાં અહેવાલ છે. જોકે, ઇજાગ્રસ્તો અને મૃતકોની ચોક્કસ સંખ્યાની હજુ સુધી પુષ્ટિ થઈ નથી.
આ ઘટના અંગે દુ:ખ અને આક્રોશ વ્યક્ત કરતા, જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ એક સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે મૃત્યુઆંક હજુ જાણી શકાયો નથી. પરિસ્થિતિ સ્પષ્ટ થતાં જ સત્તાવાર રીતે માહિતી અપાશે. ઇજાગ્રસ્તોને જિલ્લા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સુરક્ષા દળોએ હુમલાખોરોને શોધવા ઘેરાબંધી અને શોધખોળ અભિયાન શરૂ કર્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આતંકવાદી હુમલાની ટીકા કરી છે અને કહ્યું છે કે આ ઘૃણાસ્પદ કૃત્ય પાછળના લોકોને ન્યાયના કઠેડામાં લાવવામાં આવશે અને તેમને બક્ષવામાં આવશે નહીં. સોશિયલ મીડિયા પોસ્ટમાં, પ્રધાનમંત્રીએ કહ્યું કે, તેમનો નાપાક એજન્ડા ક્યારેય સફળ થશે નહીં. શ્રી મોદીએ ઉમેર્યું હતું કે અસરગ્રસ્તોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં આવી રહી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રધાનમંત્રીને પહેલગામ આતંકવાદી હુમલાની ઘટના વિશે માહિતી આપી હતી અને તમામ એજન્સીઓ સાથે તાત્કાલિક સુરક્ષા સમીક્ષા બેઠક યોજવા માટે શ્રીનગર જવા રવાના થયા હતા. શ્રી શાહે આ ઘટના અંગે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબંધિત અધિકારીઓ સાથે બેઠક પણ યોજી હતી. પ્રવાસીઓ પર થયેલા આતંકવાદી હુમલા પર દુઃખ વ્યક્ત કરતા ગૃહમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે આ કાયરતાપૂર્ણ આતંકવાદી કૃત્યમાં સામેલ લોકોને બક્ષવામાં આવશે નહીં. દરમિયાન રાષ્ટ્રપતિ મૂર્મૂએ પણ આ ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું.
Site Admin | એપ્રિલ 22, 2025 8:18 પી એમ(PM)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જમ્મુ-કાશ્મીરમાં આતંકી હુમલાની ટીકા કરી
